Friday, March 14, 2008

ગુજરાતમાં ૧ એપ્રિલથી નવી જંત્રીનો અમલ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી જમીન અને મિલકતની નવી જંત્રીની સામે રાજ્યભરમાં વિરોધનો વંટોળ છતા તા. ૧ એપ્રિલથી તેનો અમલ કરાશે. વિધાનસભામાં મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ‘સેપ્ટ’ સંસ્થાની મદદથી અન્ય રાજ્યોની મૂલ્યાંકન પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ સૂચિત જંત્રી વૈજ્ઞાાનિક ઢબે તૈયાર કરી છે. દરમિયાનમાં નવાઈની વાત એ છે કે ગઈકાલે નવી જંત્રીના વિરોધમાં કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે આજે વિધાનસભામાં મહેસૂલ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં કોંગ્રેસના એક પણ ધારાસભ્યે સુચિત જંત્રી સામે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. મહેસુલમંત્રીએ મહેસૂલ વિભાગની અદાજપત્રીય માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ઝડપથી વધી રહેલા વાણિજ્ય અને ઔદ્યોગિક વિકાસ તથા અન્ય વિકાસલક્ષી પરિબળોને ધ્યાનમાં રાખીને જંત્રી રીવાઈઝ કરવી જરૃરી હતી. તેમણે વધુમાં કહ્યું કે સૂચિત જંત્રીમાં વિકાસની બાબતો તથા મિલકતના મૂલ્યાંકનને સ્પર્શતા તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને વેલ્યુઝોન તૈયાર કરી તમામ પ્રકારની મિલકતો માટેના દર દર્શાવવામાં આવ્યાં છે. નવી જંત્રીની મદદથી દસ્તાવેજની નોંધણીની કાર્યવાહીમાં પારદર્શક્તા આવશે. કામગીરીમાં ઝડપ આવશે, મિલકતોનું વાસ્તવિક મૂલ્યાંકન થશે. તેમજ મૂલ્યાંકન સંબંધિત કોર્ટ કેસોમાં ઘટાડો પણ થશે. સામાન્ય વ્યક્તિ પણ પોતાની મિલકતોનું મૂલ્યાંકન જાતે કરી શકે તેટલી સરળતા આવશે.
તેમણે કહ્યું કે ઈ-ધરા હેઠળ ૭-૧૨, ૮-અ અને ગામ નમૂના નં.૬ની માર્ચ ૨૦૦૮ સુધીમાં ૪.૩૫ કરોડ નકલો અરજદારોને આપવામાં આવી છે. ૨૦૦૮-૦૯ના વર્ષમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ઈન્કમ્બરન્સ પ્રમાણપત્રો આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ-૨૦૦૭થી આ પ્રકારના પ્રમાણપત્રો તાત્કાલિક મળી રહ્યાં છે. મહાનગરપાલિકા વિસ્તારની બહુમાળી મિલકતોના મિલકત કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ) તૈયાર કરવા રૃ. ૧ કરોડની જોગવાઈ કરાઈ છે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં રેકર્ડ ઓફ રાઈટ્સ તૈયાર થશે.
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારે જાહેર કરેલી સૂચિત નવી જંત્રી સામે નાગરિકોમાં ભારે વિરોધ સર્જાયો છે અને નવી જંત્રીની દરખાસ્તોમાં ફેરફારો કરવા કે તેને મોકૂફ રાખવાની માગણી થઈ રહી છે. પરંતુ મહેસૂલ મંત્રીએ વિધાનસભામાં કરેલી સત્તાવાર જાહેરાતથી હવે સ્પષ્ટ થાય છે કે ૧લી એપ્રિલ -૨૦૦૮થી નવી જંત્રીના અમલ માટે સરકાર મક્કમ છે.
વિધાનસભામાં આજે મહેસૂલ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં વિપક્ષ કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યે જંત્રીની દરખાસ્તોે સામે વિરોધ વ્યક્ત કર્યો ન હતો.

૧૦૦ વર્ષના ગાળા બાદ રાજ્યમાં પહેલી વખત જમીન માપણી કરાશે
ગુજરાતમાં ૧૦૦ વર્ષ પછી પુન: જમીન માપણીનું કામ મહેસૂલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેની શરૃઆત જામનગર જિલ્લાથી શરૃ થશે.મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે વિધાનસભામાં આજે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ રાજ્ય સરકારે મહેસૂલ માટે મહત્ત્વની ગણાતી જમીન માપણીનું કામ હાથ ધર્યું ન હતું. ૧૦૦ વર્ષ બાદ આ કામગીરી માટે રૃ. ૨૧.૧૯ કરોડ ફાળવાયા છે. ૨૦૦૮-૦૯ના વર્ષમાં એક તાલુકાના ૪૨ ગામોનું રિ-સર્વેનું કામ હાથ ધરીને ડીઝીટલ નકશા અને કોમ્પ્યુટરરાઈઝડ સર્વે રેકોર્ડઝ તૈયાર કરાશે.

No comments: