Tuesday, March 25, 2008

કેન્દ્રીય કર્મચારીઓનાં વેતનમાં ૪૦%નો વધારો

ચૂંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના બોનાન્ઝામાં આજે છઠ્ઠા પગારપંચે પગારોમાં સરેરાશ ૪૦ ટકા વધારાની ભલામણ કરી છે તેમ જ તેમાં કેબિનેટ સેક્રેટરી અને ર્સિવસ ચીફ્સના પગાર માસિક રૃ. ૯૦,૦૦૦ રાખવાનો અને મોટા ભાગનાં ભથ્થાંઓ બમણાં કરવાનો સમાવેશ થાય છે. આનાથી ૨૦૦૮-૦૯માં કેન્દ્ર સરકારની તિજોરી પર રૃ.૧૨,૫૬૧ કરોડનો બોજ પડશે.

બજેટમાં કરદાતાઓને નોંધપાત્ર ફાયદો કરી આપ્યા બાદ સેક્રેટરીઓ માટેનો માસિક પગાર રૃ. ૮૦,૦૦૦ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. પગારપંચની આજની જાહેરાતથી ચાલીસ લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે તેમ જ આ વધારો પહેલી જાન્યુઆરી ૨૦૦૬થી અમલમાં આવનારો હોવાથી એરિયર્સપેટે તેમને રૃ. ૧૮,૦૬૦ કરોડ આપવા પડશે.

નાણાપ્રધાન પી. ચિદમ્બરમને રિપોર્ટ ફાઇલ કર્યા બાદ પંચના ચેરમેન બી.એન. શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે જે સારું હોય તેવી ભલામણો મેં કરી છે. હવે આમાં પ્રાથમિક માસિક પગારનો લઘુતમ આંકડો રૃ. ૬.૬૬૦ રહેશે તેમ જ કોઇ પણ અસ્થિરતા સામે સલામતીનાં પગલાં સૂચવાયાં છે.

સંરક્ષણ ખાતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાથી સૈનિકોને ફાયદો થશે તેમને પણ સિવિલિયનની સમકક્ષ લાવવામાં આવ્યા છે. તેમને માસિક રૃ. ૬,૦૦૦ સુધીનું ખાસ ભથ્થું આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો કેબિનેટમાં મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ રિપોર્ટમાં મહિલાઓ અને અપંગોને પણ ખાસ લાભ આપવામાં આવ્યો છે. જેમાં રજાના ધોરણ અને કામકાજની શરતોમાં સુધારાનો પણ સમાવેશ થાય છે. હવે આ ઉપરાંત સારી રીતે ફરજ બજાવતાં કર્મચારીઓને સામાન્યના ૨.૫ ટકાની સરખામણીએ ૩.૫ ટકા ઇન્ક્રિમેન્ટની ભલામણ કરવામાં આવી છે.

અહેવાલોને વિપરીત પેનલમાં નિવૃત્તિની વયમર્યાદા ૬૦ વર્ષ જાળવી રાખવામાં આવી છે. વૈજ્ઞાાનિકો અને મેડિકલ નિષ્ણાતો માટે બે વર્ષની રાહત આપવાનો પણ સમાવેશ થાય છે. ટ્રાવેલ્સ એલાઉન્સ એક્ચુઅલ પગારના આધારે મળવું જોઇએ. તેમાં સિટી કમ્પેન્સેટરી એલાઉન્સને સામેલ કરવાની અને તેને ચાર ગણો વધારવાની ભલામણ કરવામાં આવી છે. રિસ્ક એલાઉન્સની જગ્યાએ રિસ્ક ઇન્શ્યોરન્સને અમલમાં મૂકવાની હિમાયત પણ કરાઇ છે.

ત્રણ જ રાષ્ટ્રીય રજાઓ રાખોછઠ્ઠા વેતનપંચે આજે તેનો અહેવાલ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને સુપરત કરી દીધો હતો. પંચના અહેવાલમાં શ્રેણીબદ્ધ ભલામણો કરવામાં આવી છે. પંચે ૪૦ લાખ સરકારી સ્ટાફના પગારમાં ઉલ્લેખનીય વધારો કરવાની ભલામણની સાથેસાથે દેશના વ્યાપક હિતમાં પણ કેટલાંક સૂચન કર્યાં છે. જેના ભાગરૃપે પંચે માત્ર ત્રણ રાષ્ટ્રીય રજાઓના દિવસે જ કચેરીઓ બંધ રાખવાનું સૂચન કર્યું છે.કમિશનના અધ્યક્ષ જસ્ટિસ બી. એન. શ્રીકૃષ્ણે અહેવાલ સુપરત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓએ દેશના વ્યાપક હિતમાં રજાઓ માણવાની બાબતને જતી કરવાની તૈયારી દર્શાવવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક મોરચે નંબર વન બનવા એમણે કેટલીક કુરબાની આપવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, હું કેટલીક રજાઓ સરકારી કર્મચારીઓની જતી કરવા ઇચ્છું છું.

વેતનપંચના અહેવાલમાં ૧૪ સરકારી રજાઓ જતી કરવાનું મહત્ત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે. આ મામલે ચોક્કસપણે વિરોધ થવાની સંભાવના છે. ૧૪ સરકારી રજાઓ જતી કરવાનો મતલબ એ થયો કે, ત્રણ રાષ્ટ્રીય રજાઓ-પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતી સિવાય તમામ દિવસે ઓફિસ ચાલુ રહશે. જો કે, પંચે મર્યાદિત રજાઓની સંખ્યા બેથી વધારી આઠ કરી દેવાનું સૂચન કર્યું છે. સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસના કામ માટેના સપ્તાહની વ્યવસ્થા ચાલુ રહેશે.

સૈનિકોનાં વેતનમાં બમણો વધારોછઠ્ઠા પગાર પંચની ભલામણોમાં સૈનિકોના વેતનમાં બમણા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આને કારણે તેમના પગારમાં માસિક રૃ. ૬,૦૦૦ સુધીનો વધારો થઇ શકે છે. હવે આમાં અર્ધ લશ્કરી દળોમાં તેમની સીધી એન્ટ્રીની પણ ભલામણ કરાઇ છે.એક નોંધપાત્ર પગલાંમાં પંચે આર્મી, નેવી અને એરફોર્સના જે તે વડાઓને દેશમાં સૌથી વધુ પગાર મેળવતાં અધિકારીઓમાં સામેલ કરવા માટે તેમને માસિક રૃ. ૯૦,૦૦૦ સુધીનું વેતન આપવાની ભલામણ કરાઇ છે. તેઓ હવે કેબિનેટ સેક્રેટરીની સમકક્ષ વેતન મેળવશે.જોકે, પંચે એવી સ્પષ્ટતા કરી હતી કે, મિલિટરી ર્સિવસ પે(એમએસપી) માટે કેન્દ્ર સરકાર કોઇ એરિયર્સ નહિ ચુકવે. હવે ઓફિસર્સ કેટગેરીમાં જોઇએ તો લેફ્ટિનેન્ટને માસિક રૃ. ૧૫,૬૦૦થી ૩૯,૧૦૦ ઉપરાંત ગ્રેડ પે રૃ. ૫,૪૦૦ અને માસિક રૃ. ૬,૦૦૦નો એમએસપી ચૂકવવામાં આવશે. આમ હવે લેફ્ટિનેન્ટ, સબ-લેફ્ટિનેન્ટ કે ફ્લાઇંગ ઓફિસરનો પગાર રૃ. ૨૫,૭૬૦થી ૨૮,૮૯૦ થઇ જશે.મેજર જનરલ, રીઅર એડમિરલ કે એર માર્શલને રૃ. ૫૨,૨૮૦થી ૫૪,૪૮૦નો પગાર આપવામાં આવશે. સેનાની નીચામાં નીચી રેન્ક સિપાહીનો પણ પગાર ધોરણ સુધારીને ૧૦,૬૭૦થી ૧૨,૫૦૦ કરવામાં આવ્યો છે. હવાલદારો માટે પેનલે ૧૨,૪૩૦થી ૧૫,૦૪૦ની વચ્ચેનું વેતન આપવાની ભલામણ કરાઇ છે. સુબેદાર મેજરને રૃ. ૮,૭૦૦થી ૩૪,૦૦૦ સુધીનું વેતન અપાશે.નેવીમાં સીમેન-૨નું સુધારેલું વેતન રૃ. ૮.૭૯૦થી રૃ. ૯,૦૦૦ તેમ જ એરફોર્સમાં 'ઝેડ' કેટેગરીમાં આવતાં એર ક્રાફ્ટ્સમેનનું વેતન રૃ. ૮,૩૧૦થી ૯,૯૩૦ નક્કી કરવામાં આવ્યું છે.
પેનલમાં સૌથી મહત્ત્વની એવી ભલામણ કરવામાં આવી છે કે, દર વર્ષે નિવૃત્ત થતાં ૪૦,૦૦૦માંથી ૩૫,૦૦૦ જેટલા કર્મચારીઓની સીધી ભરતી સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનોમાં કરી શકાશે. આમ કરવાથી સરકારી ખર્ચમાં બચત થશે તેમ જ સૈનિકોને આજીવન રોજગારી પણ મળી રહેશે. આમ હવે ૩૩થી ૩૪ વર્ષની નોકરીની જરૃરિયાતની વયમાં નિવૃત્ત થતા સૈનિકોને ફરી નોકરી મળી શકશે.

No comments: