Thursday, March 27, 2008

પાકિસ્તાનની નવી શરૃઆત

ઇન્દર મલ્હોત્રા ‘રાજકારણનાં નીરક્ષીર’

આઠ વર્ષ સુધી ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુશર્રફના લશ્કરી શાસન બાદ હવે પાકિસ્તાનમાં લોકશાહીની પુન: સ્થાપના થતાં નવી શરૃઆત થઈ છે જે અપેક્ષા કરતાં વધુ નાટયાત્મક હતી. આંતરિક ચિહ્નો આશાસ્પદ ન હતાં. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં હત્યાનો ભોગ બનેલાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો અને તેના મુખ્ય સાથી પક્ષ નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ બંને વચ્ચે નવા વડા પ્રધાનની પસંદગી માટે એક માસ સુધી મંત્રણાઓ થતી રહી. ભુટ્ટોના વફાદાર યુસુફ રઝા ગિલાની, તેઓ રાષ્ટ્રીય એસેમ્બ્લીના અધ્યક્ષ પણ હતા, વડા પ્રધાન તરીકે ચૂંટાયા. ૩૪૨ સભ્યોના ગૃહમાં તેમના પક્ષે ૨૬૪ મત પડયા હતા. કહેવાતા 'કિંગ પાર્ટી'ના એટલે કે મુશર્રફના પરોક્ષ ઉમેદવાર પરવેઝ ઇલાહીને ફક્ત ૪૨ મત મળ્યા હતા.
સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, તમામ પ્રેક્ષકદીર્ઘાઓ અને ગૃહની બહાર ઊભેલી જનમેદનીએ નવા પરિવર્તનને ભારે હર્ષોલ્લાસ સાથે વધાવી લીધું હતું. ગિલાનીએ જ્યારે જાહેર કર્યું કે, તેઓ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયર્મૂિત ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરી અને જજોને છોડી મૂકશે. મુશર્રફે કટોકટી લાદ્યા બાદ ૩જી નવેમ્બરથી તેમને નજરકેદમાં રાખ્યા હતા. જજીસ કોલોની સહિત અનેક વિસ્તારોમાં આ જાહેરાતને કારણે દિવાળી મનાવવામાં આવી. લોકો હર્ષોલ્લાસ સાથે ચિચિયારીઓ પાડતા નીકળી પડયા હતા. આમ પાકિસ્તાનમાં લોકશાહીને વધાવી લેવામાં આવી તેવું કહી શકાય અને તે પણ તમામ રીતે.
પહેલેથી નક્કી હશે કે, સંયોગ હશે, પણ લશ્કરી વડા અશફાક કિયાનીએ લશ્કરી અધિકારીઓમાં ફેરબદલ કરી ટોપના બે કોર્પ્સ કમાન્ડરોની તેમણે બદલી કરી. બંને મુશર્રફના વફાદાર છે. તેમને ઓછું મહત્ત્વ ધરાવતા હોદ્દા પર મૂક્યા. જો કે મુશર્રફ વિરુદ્ધની આ કાર્યવાહી ન કહી શકાય, કારણ કે તેઓ 'સિવિલિયન' પ્રમુખ છે. જો કે કિયાનીએ રાજકારણમાં લશ્કરની દખલગીરી ઓછી કરાવી છે. નોંધપાત્ર એ છે કે, રાવલપિંડીમાં કે આઈએસઆઈમાં કોઈ ફેરફાર થયા નથી. વધુમાં પીપીપીના સહ ચેરમેન ઝરદારીએ થોડાક દિવસ પહેલાં જાહેર કરેલું કે, કાશ્મીરનો મુદ્દો હાલ બાજુએ રાખી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવા જોઈએ. તે વખતે કિયાનીએ કહેલું કે, લશ્કર પ્રજામતને આવકારશે. આમ હવે લોકપ્રિય સરકાર અને પરવેઝ મુશર્રફ વચ્ચે છેવટની બાજી રમવાનો વખત પાકી ગયો છે. ખાસ કરીને ન્યાયતંત્રમાં. જજ મુક્ત થયા. પુન: નિમણૂક બાકી છે. શક્ય છે કે, આ મુદ્દે સંઘર્ષ થાય. નવાઝ શરીફ તો આ ઇચ્છે છે. તેઓ તમામને તેમના હોદ્દા પર જ બેસાડવા ઇચ્છે છે. ઝરદારીને મુશર્રફ સામે લડવાની ઉતાવળ નથી. જો કે વડા પ્રધાન ગિલાનીએ જાહેર કર્યું છે કે, જજોની ફેરનિમણૂક ૩૦ દિવસમાં જ સંસદના ઠરાવથી થશે. જો કે આવા ઠરાવને બંધારણીય સુધારાનો ટેકો નહીં મળે. મુશર્રફ જ આદેશ બહાર પાડી તે કરી શકે. પીપીપી, પીએમએલ (એન)નો મોરચો રચાયો છે. તેમને ખાન અબ્દુલ ગફાર ખાનના વંશજોના પક્ષ અવામી નેશનલ પાર્ટીનો અને જમિયતે ઉલેમાએ ઇસ્લામનો ટેકો છે. આમ બે તૃતીયાંશ બહુમતી મળી છે, પણ તે નેશનલ એસેમ્બ્લીમાં છે. સેનેટમાં નહીં. આમ તેઓ મુશર્રફ વિરુદ્ધ મહાભિયોગ ચલાવી શકે નહીં. જો કે મુશર્રફે હવે સમજવું જોઈએ કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. રાજકારણમાં અઠવાડિયું લાંબો સમય કહેવાય. જ્યારે અહીં તો એક મહિનો છે. બંને પક્ષે સમાધાન થઈ શકે છે. મુશર્રફ જજોની નિમણૂકમાં અડચણ ઊભી નહીં કરે અનેત્યાર બાદ સ્વેચ્છાએ હોદ્દો છોડશે. મુશર્રફના ટેકેદાર અમેરિકા પાકિસ્તાનમાં હવે બિનલોકપ્રિય દેશ છે. મુશર્રફે અમેરિકાને પાકિસ્તાનમાં અફઘાન બળવાખોરો અને અલ કાયદાના સભ્યોનો નાશ કરવા સગવડ કરી આપી છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે. હાલનો મોરચો શત્રુઓનો છે. કેટલો ચાલશે ? ભાજપ સાથે વી. પી. સિંહે હાથ મિલાવેલા તેવું જ છે.
પીપીપીમાં આમેય આંતરિક વિખવાદ છે. વડા પ્રધાનના હોદ્દા પરની પસંદગીને કારણે. સિંધના મખ્દૂમ અમીન ફાહિમની જોરશોરથી જાહેરાતો થઈ અને છેલ્લે ગિલાનીને પસંદ કર્યા. આ કામચલાઉ વ્યવસ્થા છે. કિંગમેકર ઝરદારી જ ચૂંટણી લડીને વડા પ્રધાન બનવા ઇચ્છે છે. ઝરદારી માટે સરળ છે, પણ પાકિસ્તાનમાં ક્યારે શું થાય કોઈ ન કહી શકે. બ્રિટનની ડિગ્રી પણ ઝરદારીને નડે તેમ છે, કારણ કે મુશર્રફે ચૂંટણી લડવા સ્વદેશી સ્નાતક હોવાનો આદેશ બહાર પાડયો છે.
નવી સરકાર સમક્ષ હવે બે મોરચા છે આર્િથક મોરચો અને બીજો જેહાદી મોરચો. બંને મોરચે પરિણામ લાવવાં જ પડશે.

No comments: