Saturday, March 15, 2008

ભારતીયને દેશમાં ગમે ત્યાં સ્થાયી થવાનો હક છે

શિવસેનાના વડા બાલ ઠાકરે અને તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેની ઉત્તર ભારતીય વિરોધી ઝુંબેશને લપડાક મારતાં આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દરેક ભારતીય દેશના ગમે તે ખૂણે સ્થાયી થવાનો બંધારણીય અધિકાર ધરાવે છે.
આ ઉપરાંત સુપ્રીમે હિંસક વિરોધ બતાવવાની કેટલાક વર્ગોની માનસિકતા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મો, પુસ્તકો કે પેઇન્ટિંગ્સ પર પોતાનો રોષ બતાવતાં આવા તત્ત્વોે સામે પણ કડક પગલાં લઇ તેમને દાબી દેવાની જરૃરિયાત પર સુપ્રીમે ભાર મૂક્યો હતો.
ન્યાયર્મૂિતઓ એચ. કે. સેમા અને માર્કન્ડેય કાતજુની એક બેન્ચે આપેલાં ૩૬ પાનાનાં ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘ભારત રાજ્યોનું કોઇ એક જૂથ નથી તેમ જ અહીં માત્ર એક જ રાષ્ટ્રીયતા ચાલે છે અને તે છે ભારતીય. આથી દરેક નાગરિકને અધિકાર છે કે તે ભારતમાં ગમે ત્યાં સ્થાયી થઇ શકે છે અને શાંતિપૂર્વક તેની ઇચ્છા મુજબ વેપાર અને કામ કરી શકે છે.’
દેશના વિભાજન કે અલગાવવાદની કોઇ પણ વાતને ચલાવી લેવામાં નહિ આવે, એમ જણાવતાં કોર્ટે જણાવ્યું હતું કે આ શું થઇ રહ્યું છે તે સમજાતું નથી. અમે આ દેશના વિભાજનને નહિ સ્વીકારીએ.
ઉત્તર ભારતીયો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ રાજ ઠાકરેની વિરુદ્ધ પગલાં લેવાના સંદર્ભમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં બેન્ચે ઉમેર્યું હતું કે, લોકો રોજી રોટીની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ કરે છે તેમ જ આ બાબત દેશની એકતા અને સાર્વભૌમત્વ માટે મહત્ત્વની છે. આપણે તમામ સમુદાયો અને ધર્મોનું સન્માન કરવું જોઇએ.

No comments: