Monday, March 31, 2008

અડવાણીની આત્મકથા સત્ય,અર્ધસત્ય અને પલાયનવાદ

પ્રત્યેક રાજકારણી મહત્ત્વાકાંક્ષી હોય છે. અડવાણીની મહત્ત્વાકાંક્ષા દેશના વડાપ્રધાન બનવાની છે. આવનારી લોકસભાની ચૂંટણી અડવાણીની રાજકીય કારકિર્દીનો કદાચ અંતિમ અઘ્યાય હશે. વડાપ્રધાન બનવા અડવાણી માટેની એ છેલ્લી તક હશે. ખુદ અડવાણી આ વાતને સારી રીતે સમજે છે. સત્તાના એ અંતિમ લક્ષ્યને હાંસલ કરવા અડવાણી છેલ્લા એક વર્ષથી એડીચોટીનું જૉર લગાવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે અડવાણીએ ગત પખવાડિયે પ્રસ્તુત કરેલી પોતાની આત્મકથામાં કથા કમ અને કેફિયત જયાદા છે. રાજકારણી માટે હંમેશાં સત્ય અને પ્રિય બોલવું સરળ નથી હોતું. કટ્ટરવાદી હોવાની છાપ ધરાવતા અડવાણીનું આંતરિક વ્યકિતત્વ મૃદુ છે. મિતભાષી અડવાણીની આદત મરતાને મર કહેવાની નથી. અડવાણી શુષ્ક રાજકારણી નથી. હિન્દી ફિલ્મોથી માંડીને ક્રિકેટની મેચ જૉવાના શોખીન અડવાણીએ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી છે, હિન્દી ફિલ્મના રિવ્યૂ લખ્યા છે. સામયિકોનું સંપાદન કર્યું છે. અડવાણી સંવેદનશીલ રાજકારણી છે. પ્રભાવશાળી વકતા છે. પોતાની વાત તર્ક, તથ્ય અને તટસ્થભાવ સાથે રજૂ કરવાની વિશિષ્ટ વાક્પટુતા ધરાવતા અડવાણીએ આત્મકથામાં એ શૈલીનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ નામની ૯૦૦ પાનાંની દમદાર અને દળદાર આત્મકથામાં શકય હોય ત્યાં સત્ય કહેવાની કોશિશ કરી છે પરંતુ કયાંક અર્ધસત્ય અને પલાયનવાદનાં દર્શન થાય છે. અડવાણીએ આ પુસ્તક ગણતરીપૂર્વક ચૂંટણી પહેલાં અને બજેટ પછી એક રાજકીય ચર્ચા છેડવા પ્રસ્તુત કર્યું છે. પુસ્તકની નકલ વાજપેયી, સોનિયા અને બાળ ઠાકરેને ધેર જઈ સ્વહસ્તે આપીને અડવાણીએ રાજકીય જનસંપર્ક યાત્રાનો આરંભ કર્યો છે. સમગ્ર પુસ્તકનો સાર એ છે કે અડવાણી ખરેખર આપ ધારો છો એવા રાજકીય કટ્ટરવાદી, હિન્દુવાદી, મુસ્લિમ વિરુદ્ધ અને સંઘના પીઠ્ઠુ નથી. અડવાણી મુત્સદી નેતા છે અને વડાપ્રધાન થવા માટે હાલમાં ઉપલબ્ધ નેતાઓમાં એક શ્રેષ્ઠ ઉમેદવાર છે.

બાબરી મસ્જિદ ઘ્વંસનું અત્યંત ઝીણવટપૂર્વક વર્ણન કરતાં અડવાણી કહે છે કે, ‘લખનૌથી પાંચમી ડિસેમ્બરની મધરાતે જાહેરસભા પતાવીને હું અયોઘ્યા પહોંરયો અને છઠ્ઠીએ સવારે તૈયાર થઈને સરયૂ નદીના કાંઠે પ્રતીકાત્મક કારસેવામાં ભાગ લેવા ગયો હતો. ત્યાંથી કલાકેક બાદ રામકથા કુંજમાં મને લઈ જવાયો. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સહિત રામ મંદિર નિર્માણ ઝુંબેશના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા! જાહેરસભા શરૂ થવાની તૈયારી હતી ત્યાં એક કાર્યકર્તાએ આવીને કહ્યું કે, કેટલાક યુવાનો વિવાદાસ્પદ ઢાંચા પર ચઢીને તોડફોડ કરી રહ્યા છે. (અડવાણી બને ત્યાં સુધી મસ્જિદ શબ્દ પ્રયોજવાનું ટાળે છે.) અડવાણીએ સ્વયં આ દૃશ્ય જૉયું અને હતાશ થયા. વ્યથિત અડવાણી અને અન્ય નેતાઓએ સિનિયરો અને કાર્યકરોને કહ્યું કે, ત્યાં જઈને તોડફોડ અટકાવો પરંતુ આ અપીલ બહેરા કાને અથડાઈ. સંઘના વરિષ્ઠ એચ.વી.શેષાદ્રીએ અનેક ભાષાઓ જાણતા હોવાથી તમામ ભાષાઓમાં માઈક પર અવારનવાર વિનંતી કરી. છેલ્લે રાજમાતા વસુંધરા રાજે સિંધિયાએ માતા તરીકે સૌ સંતાનોને નીચે તરી જવા વિનંતી કરી. કોઈ પ્રતિસાદ ન સાંપડયો. અડવાણીએ ફાયર બ્રાન્ડ ઉમા ભારતીને મોકલ્યાં. તેઓ પણ નિષ્ફળ નીવડયાં. ત્યાર બાદ પ્રમોદ મહાજનને મોકલ્યા તેઓ પણ થોડી વારમાં હાથ ઘસતા પાછા આવ્યા. હું સ્વયં ત્યાં જવા તૈયાર થયો તો મારી મહિલા સિકયુરિટી ઓફિસરે મને અટકાવતા કહ્યું કે, અડવાણીજી આપની સુરક્ષાની જવાબદારી અમારી છે. આપ ઘટનાસ્થળે નહીં જઈ શકો. આ દલીલ ચાલતી હતી ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ જાતે ઘટનાસ્થળે પહોંરયા છતાં, આક્રમક ટોળું કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. મને કહેવામાં આવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ લખનૌમાં જ છે. મેં કલ્યાણસિંહનો સંપર્ક કરવા ફોન શોધવાની કોશિશ કરી પરંતુ સંપર્ક ન થયો. ત્યાં જ પહેલો ગુંબજ ધરાશાયી થવાનો અવાજ સંભળાયો. થોડી વારમાં બાકીના બંને ગુબજૉ જમીનદોસ્ત થયા અને ટોળાએ ચિચિયારીઓ કરી મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી, અને મને મીઠાઈ અપાઈ. મેં સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું કે આજના દિવસે હું મીઠાઈ નહીં ખાઈ શકું. દરમિયાનમાં કલ્યાણસિંહ સાથે વાત શકય બની. મેં કલ્યાણને કહ્યું કે સુપ્રીમ કોર્ટને સુરક્ષાની આપેલી ખાતરીનું તમારી સરકાર પાલન કરી શકી નથી, માટે તમારે તાત્કાલિક રાજીનામું આપવું જૉઈએ. કલ્યાણે ‘હા’ પાડી, મેં તાત્કાલિક જાહેરાત કરી કે, લોકસભામાં વિપક્ષી નેતા તરીકે હું રાજીનામું આપીશ. લખનૌ પહોંચીને મેં લોકસભા અઘ્યક્ષને મારું રાજીનામું મોકલી દીધું હતું, પરંતુ અયોઘ્યાથી લખનૌ જતાં ૧૩૫ કિ.મી.ના રસ્તામાં ઠેર-ઠેર ઉજવણીનો માહોલ હતો. અયોઘ્યાથી અડધા કલાકના અંતરે એક સ્થળે પોલીસે અમારી ગાડી રોકી. મને અને મહાજનને જૉઈને એક પોલીસ અધિકારી અમારી પાસે આવીને બોલ્યો, ‘અડવાણીજી કુછ બચા તો નહીં ને? બિલકુલ સાફ કર દિયાના?’ અડવાણીએ પુસ્તકમાં નોંઘ્યું છે કે, બાબરી ઘ્વંસ પછી ઠેર-ઠેર ઉન્માદ અને વિજયોત્સવનો માહોલ હતો.

અડવાણીના આ પુસ્તકમાં મનમોહનને સૌથી નબળા અને નિષ્ફળ વડાપ્રધાન લેખાવવામાં આવ્યા છે. પરંતુ સાથોસાથ તેઓને સૌથી સફળ નાણામંત્રી પણ કહેવાયા છે. ૧૯૯૧ બાદ નરસિંહરાવના નેતૃત્વમાં ઉદારીકરણનો માહોલ શરૂ થયો ત્યારે વૈશ્વિકીકરણની નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચંદ્રશેખરે લોકસભામાં મનમોહનને વિશ્વબેન્કના દલાલ કહ્યા હતા. અડવાણીએ વિપક્ષી નેતા તરીકે તાત્કાલિક આ મુદ્દે મનમોહનનો બચાવ કર્યો હતો. અડવાણી લખે છે કે, મારી પાર્ટીમાં આ બચાવ અંગે ગણગણાટ થયો હતો, પરંતુ મેં કહ્યું હતું કે, વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ મનમોહનને દલાલ ન કહી શકાય. પુસ્તકમાં સોનિયા ગાંધી અંગે સૌજન્યપૂર્વક વલણ દાખવતા અડવાણી કહે છે કે તેમના વિદેશી કુળ કે મૂળ સામે મારે વાંધો નથી. સોનિયાએ ૧૯૬૮માં લગ્ન કરીને ભારત આવ્યાં બાદ પંદર વર્ષ સુધી ભારતીય નાગરિકત્વ માટે અરજી ન કરી. કોઈ પણ વિદેશીને ભારતમાં રહેવા માટે મહત્તમ પાંચ વર્ષની પરવાનગી મળે છે. સોનિયાએ ૧૯૭૩ અને ૧૯૭૮માં અરજી કરી પાંચ-પાંચ વર્ષનું એકસટેન્શન મેળવ્યું. ૧૯૮૩માં રાજીવ વડાપ્રધાન બનશે એ નિશ્ચિત થયું ત્યાર બાદ જ નાગરિકત્વ મેળવ્યું. ૧૯૮૦માં ભારતીય નાગરિક ન હોવા છતાં સોનિયાએ ચૂંટણીમાં મતદાન શી રીતે કર્યું એવો સવાલ ઉઠાવતા અડવાણીએ બોફોર્સ કાંડ, કવાટ્રોચી સાથે સોનિયાના સંબંધોની વિગતે ચર્ચા કરતાં અંતે કહ્યું છે કે, સોનિયા આ દેશમાં વડાપ્રધાન ન થઈ શકે, કારણ કે તેઓ ભારતમાં જન્મ્યાં નથી. અમેરિકા અને ઈટાલીમાં પણ આજ કાયદો છે. હેનરી કિસિન્જર, મેડેલિન અલબ્રાઈટ જેવા અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ પાવરફુલ હોવા છતાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહોતા લડી શકયા. આ દેશમાં એની બિસેન્ટ અને સિસ્ટર નિવેદિતાને વિદેશી મૂળના હોવા છતાં લોકોએ સ્વીકાયાર્ં છે. સોનિયા પણ સ્વીકૃત છે. (પરંતુ વડાપ્રધાનપદે નહીં) એમ કહી અડવાણી ઉમેરે છે કે સોનિયાનાં સાસુ ઈન્દિરાજી અને પતિ રાજીવ ગાંધીની અકાળે વિદાયથી મને દુ:ખ અને સહાનુભૂતિ જરૂર છે. તેમની સામે હીણપતભર્યા આક્ષેપો કે મલીન પ્રચારયુદ્ધનો હું વિરોધી છું.

અડવાણીએ પુસ્તકના માઘ્યમ દ્વારા પોતાના વિશે અપપ્રચારને રદિયો આપી વાસ્તવિકતાનું વર્ણન કરવાની કોશિશ જરૂર કરી છે, પરંતુ કેટલાક વિવાદાસ્પદ મુદ્દે તેમણે મૌન રહેવાનું મુનાસિબ માન્યું છે. પોખરણમાં પરમાણુ પરીક્ષણ થવાનું છે એ વાત વાજપેયીના પ્રિન્સિપાલ સેક્રેટરી અને નેશનલ સિકયુરિટી એડવાઈઝર બ્રિજેશ મિશ્રાએ જયોર્જ ફર્નાન્ડિઝને સંરક્ષણ મંંત્રી તરીકે કરી હતી. પરંતુ અડવાણીને ઈરાદાપૂર્વક અજાણ રખાયા હતા અને છેલ્લી ઘડીએ કેબિનેટમાં સૌની હાજરીમાં આ વાત કરાતા અડવાણી રોષે ભરાયા હતા. અડવાણી આ મુદ્દે પુસ્તકમાં મૌન છે પરંતુ બ્રિજેશ મિશ્રા અંગે પોતાની નારાજગીની બાબત સ્પષ્ટ કરતાં કહે છે કે, એક વ્યકિત વડાપ્રધાન કાર્યાલયમાં બે હોદ્દા ભોગવે એ બાબત સામે જ મારો વિરોધ હતો, વ્યકિતગત નહીં. અડવાણીએ કંદહારકાંડ અંગે વડાપ્રધાન વાજપેયી અને વિદેશમંત્રી જશવંતસિંહ સાથેના વૈચારિક મતભેદોનો સ્વીકાર કર્યો છે. અડવાણી કહે છે કે, ત્રાસવાદીઓને લઈને જશવંતસિંહ કંદહાર ગયા એ બાબતથી હું અજાણ હતો. છતાં વધુ ચર્ચા ટાળતા અડવાણી કહે છે કે, પ્રધાનમંડળમાં હોવાના નાતે સામૂહિક જવાબદારીમાંથી હું છટકી શકું નહીં.

જશવંતસિંહે પોતાના પુસ્તકમાં લખેલાં તથ્યો અને અડવાણીની વાતોમાં વિરોધાભાસ ડીને આંખે વળગે છે. પરંતુ લાલજી એ બાબતે ચર્ચા માટે તૈયાર નથી. વાજપેયી સાથેના પચાસ વર્ષના રાજકીય સંબંધોમાં ભરતી અને ઓટ ચાલતી રહી છે. છતાં વાજપેયીને પોતે હંમેશાં સિનિયર માનતા હતા, અડવાણી ઉમેરે છે કે, ‘હર પરિવાર મેં મુખ્િાયા હોના ચાહિયે. વાજપેયી હમારે ‘મુખિયા’ હૈં.’ વાજપેયી સાથે રામ મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હોવાનો એકરાર કરતા અડવાણી કહે છે કે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે ભાજપ આ ઝુંબેશમાં જૉડાયું એ વાજપેયીને ગમ્યું નહોતું, પરંતુ સામૂહિક નિવેદન સામે તેમણે નમતું જૉખ્યું હતું. તદાનુસાર ગુજરાતમાં રમખાણો પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે એમ વાજપેયી ઈરછતા હતા, પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં મોદી તરફી માહોલ જૉતાં વાજપેયીએ દુરાગ્રહ નહોતો સેવ્યો. ગુજરાતનાં રમખાણો દરમિયાન પોતે મુસ્લિમોને બચાવતા હોવાનું ગૌરવ લેતા અડવાણી કહે છે કે, રાજયસભાના ઉપાઘ્યક્ષ નઝમા હૈપતુલ્લાનો રમખાણો દરમિયાન ફોન આવ્યો. તેમના પતિ અકબરે મને અમદાવાદના મુસ્લિમ બોહરા વેપારીઓને બચાવવા વિનંતી કરતા મેં તરત મોદીને તાકીદ કરી હતી. સોમનાથ ચેટર્જીએ ફોન કરીને કહ્યું કે, ભાવનગરના સામ્યવાદી કોમરેડ્સ કહે છે કે ત્યાં એક મદરેસાને સળગાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. અડવાણીએ દરમિયાનગીરી કરી અને જાનહાનિ અટકી ગઈ. અડવાણીએ પરોક્ષ રીતે પોતાની ધર્મ નિરપેક્ષતા પુરવાર કરતાં કહ્યું છે કે મોહમ્મદ અલી જિન્હા અંગેનાં નિવેદનનો મને રંજ નથી. સંઘ પરિવારની નારાજગી અંગે ઝાઝી ટીકાટીપ્પણીમાં અડવાણી પડયા નથી. છતાં પુસ્તકમાં કેટલાક પ્રસંગો સંઘની દાદાગીરી છતી કરે છે. જશવંતસિંહને વાજપેયી પ્રથમ કેબિનેટમાં નાણાંમંત્રી બનાવવા ઈરછતા હતા. છતાં સંઘ પરિવારે અને સુદર્શનજીએ ઈન્કાર કરતાં વાજપેયીને છેલ્લી ઘડીએ જશવંતને પડતાં મૂકયા એ વિવાદ અંગે અડવાણી મૌન છે. પરંતુ વાજપેયીને વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ બનવા સંઘ પરિવારે (રજજુ ભૈયાએ) સમજાવ્યા હોવાનું સ્વીકારે છે. ૧૯૯૫માં અડવાણીએ મુંબઈની કારોબારીમાં વાજપેયીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા ત્યારે સંઘ પરિવારમાં નારાજગી થઈ હોવાનું કબૂલે છે. ૧૯૯૧માં વાજપેયીના સ્થાને અડવાણીને વિપક્ષી નેતા સંઘના ઈશારે બનાવાયા હતા. અને ૨૦૦૫માં જિન્હાકાંડ પછી અડવાણીને ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની સૂચના અપાઈ હોવાનો એકરાર અડવાણીએ કર્યો છે. પરંતુ સૂચના કોણે આપી એ મુદ્દે અડવાણી પુન: ચુપ્પી સાધે છે. સત્યનો વિકલ્પ મૌન નથી. છતાં મૌનની પણ આગવી ભાષા જરૂર છે. સત્ય, અર્ધસત્ય અને પલાયનવાદ છતાં ૫૯૫ રૂપિયાનું આ પુસ્તક (પોસાય તો) વાંચવાલાયક અને રસપ્રદ જરૂર છે.
પોઇન્ટ ઓફ વ્યૂ :
હું ખરેખર સંગઠનનો માણસ હતો, પરંતુ રથયાત્રાને કારણે નાહક મારી ઇમેજ કટ્ટરવાદી તરીકેની થઇ ગઇ. - લાલકૃષ્ણ અડવાણી
લેખક : અજય ઉમટ

પાંચ વર્ષમાં ગુજરાતનો ત્રણ ગણો વિકાસ થશે : કલામ

એફજીઆઈના એવોર્ડ સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિનું ઉદ્બોધન
પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામે રવિવારે એફજીઆઈના વાર્ષિક ફંકશનમાં એવોર્ડ એનાયત કરવા માટે યોજાયેલા સમારંભમાં ગુજરાતના વિકાસની રૂપરેખા આપતાં ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે ગુજરાતના હાલના વિકાસના ગ્રાફને નજરમાં રાખીને એવો પણ આશાવાદ વ્યકત કર્યોહતો કે આગામી પાંચ વર્ષમાં જૉ આજ ગતિએ વિકાસ ચાલુ રહેશે તો ગુજરાતમાં ઔધોગિક ઉત્પાદન ત્રણ ગણું વધી જશે.
વડોદરાના ચંચી મહેતા ઓડીટોરિયમ ખાતે યોજાયેલા ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક એવોર્ડ ફોર એકસલન્સ સમારંભમાં ડૉ. અબ્દુલ કલામે ખાસ હાજરી આપી વિકાસની રૂપરેખા દોરી હતી. તેમણે પોતાના બહુ ચર્ચિત ૨૦-૨૦ વિઝનની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આ દર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરી વિકાસ વરચેનું અંતર ઘટશે.
દરેક તેજસ્વી વિધાર્થી ઉરચ શિક્ષણની તક પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત લોકો ભયમુકત બને અને દેશ આતંકવાદ મુકત બને તેવી અભિલાષા વ્યકત કરતાં તેમણે ગૌરવશાળી અને અનુકરણીય નેતૃત્વને દેશનું સુકાન સોંપવા લોકોને અપીલ કરી હતી. ‘ગુજરાતમાં ૫૧ જેટલા ‘સેઝ’ ની મંજૂરી અપાવાથી કેટલાક સ્તરે ગભરાટ ફેલાઈ રહ્યો છે પરંતું મારી ¼ષ્ટિએ એ અનાવશ્યક છે.’એમ જણાવતા ડો. કલામે ઉમેર્યુ હતું કે સેઝના માઘ્યમથી પણ વેલ્યુ એડેડ જૉબનુ નિર્માણ થઈ શકે અને તેમાં ખડુતોને પણ શામેલ કરી શકાય એવા સેઝ આદર્શ બની શકે.
૧૧મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતના વૈચારિક આયોજનથી ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થાય તેવી આશા વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૂડી રોકાણ કારોને આકર્ષવા માટે ગુજરાતની ક્ષમતાનો વિશેષ ઉપયોગ થઈ શકે. ખાસ કરીને સેઝની સ્થાપનાથી ગુજરાતના વિકાસને નવો વેગ મળશે રોજગારીની તકો વધશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. આ સાથે તેમણે ઔધોગિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવાની રાજય સરકારની નિતીને તેમણે સરાહી હતી.
ભ્રષ્ટાચાર દૂર કરવો છે?: પોતાનાથી જ શરૂ કરો : ડો. કલામ
આજે વડોદરા આવેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે દેશની મુખ્ય સમસ્યા પૈકીની એક એવા ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવાના રામબાણ ઈલાજ તરફ અંગૂલી નિર્દેશ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર દૂર થાય તેવું સહુ કોઈ ઈરછે છે પણ તેને દૂર કરવાની શરૂઆત જયાં સુધી પોતાના ઘર આંગણાંથી કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને નિર્મૂળ કરવો શકય નથી.
આજના બાળકને ગળથૂથીમાંથી જ ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મળે તે આપણે જૉવાની જરૂર છે. જૉ તેમ થાય તો જ આગામી પેઢી ભ્રષ્ટાચારથી ખરડાતી અટકી શકે અને તેવી રીતે ભ્રષ્ટાચાર મુકત ભારતનું નિર્માણ થઈ શકે.

Saturday, March 29, 2008

ભૂતાનમાં ઊગ્યું લોકશાહીનું અરુંણું પ્રભાત...

લેખક : દિનેશ રાજા ‘આસપાસ’

હિમાલયની ગોદમાં આવેલા આપણા ટચૂકડા પાડોશી દેશ ભૂતાને ૨૪મી માર્ચે ૧૦૦ વર્ષ જૂની રાજાશાહી ત્યાગીને લોકશાહી અપનાવી છે. આ પરિવર્તન અજોડ એટલા માટે છે કે, વિશ્વમાં જે કોઈ દેશમાં રાજાશાહી હતી, તેના લોકોએ તેની બેડીમાંથી મુક્ત થઈ પ્રજાનું પોતાનું શાસન, લોકશાહી સ્થાપવા માટે સામાન્ય રીતે ભારે લડત લડવી પડી છે, અનેક બલિદાન આપવાં પડયાં છે, જ્યારે ભૂતાનમાં તો એક પ્રજાવત્સલ રાજાએ 'જો આપણે પ્રગતિ કરવી હોય તો લોકશાહી અપનાવવી જોઈએ' એમ કહીને, સામે ચાલીને પોતાની પ્રજાને લોકશાહી ભણી દોરી છે અને "રાજા કહે છે, એટલે તેમાં આપણું ભલું જ હશે" એમ માનીને પ્રજાએ હિચકિચાટ સાથે લોકશાહીને માર્ગે પ્રયાણ કર્યુ છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ ભૂતાનમાં તેની સંસદ-નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડનાર બન્ને રાજકીય પક્ષોના નેતાઓએ પણ કહ્યું કે, વ્યક્તિગત રીતે અમારે પસંદગી કરવાની હોય તો અમે વર્તમાન રાજાના રાજ નીચે જ રહેવાનું પસંદ કરીએ.ભૂતાનની પ્રજાની આવી વિચારસરણી પછાત, સામંતશાહ મનોદશા નહિં પણ દૂરદ્વષ્ટિવાળા એક પ્રજા વત્સલ રાજાએ પોતાની પ્રજાના કલ્યાણ માટે જે કર્યુ તે વિષેના અહોભાવથી પ્રેરાયેલી છે.

૧૯૭૨ સુધી ભૂતાનની ગણના સૌથી પછાત અને ગરીબ દેશોમાં થતી હતી. દેશમાં રસ્તા, શાળા કે હોસ્પિટલ જેવી સુવિધાઓનો પણ અભાવ હતો. પરંતુ એ વર્ષે પોતાના રાજ્યાભિષેક પછી રાજા જિગ્મે સિંધ્યે વાંગ્ચૂકે, દેશને પ્રગતિના પંથે દોરવાનો આરંભ કર્યો. આજે ભૂતાનમાં પાકા રસ્તાઓ છે, શિક્ષણ તેમ જ આરોગ્ય વિષયક સેવા નિઃશૂલ્ક છે અને સર્વને પ્રાપ્ય છે. લગભગ બધા જ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી અને વીજળી ઉપલબ્ધ છે. જીવનધોરણમાં સુધારો થવાથી અને આરોગ્ય વિષયક સેવાઓ નિઃશૂલ્કપણે સાર્વત્રિક રીતે પ્રાપ્ત થવાથી ભૂતાનના લોકોની આયુષ્યમર્યાદા, જે અગાઉ માત્ર ૪૦ વર્ષની હતી તે વધીને ૬૬ વર્ષની થઈ છે. ૨૦૦૬માં થયેલા એક વિશ્વવ્યાપી સર્વેક્ષણ અનુસાર, ભૂતાનને વિશ્વનો ૮મા નંબરનો હેપીએસ્ટ, (સુખી અને ખુશી) દેશ ગણવામાં આવ્યો હતો. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન ભૂતાને ર્વાિષક ૭ ટકાના દરે આર્િથક વિકાસ સાધ્યો છે અને તેની સરેરાશ માથાદીઠ આવક ૧,૪૦૦ ડોલર એટલે કે, ભારતની સરેરાશ માથાદીઠ આવકથી બમણી છે. પોતાની આ પ્રગતિ રાજાને આભારી હોવાનું ભૂતાનની પ્રજા માને છે.

રાજા જિગ્મે સિંધ્યેે વાંગ્યૂકે એક સભામાં પોતાની પ્રજાને સંબોધન કરતાં ભારપૂર્વક કહ્યું કે, "જો આપણે પ્રગતિ સાધવી હોય તો પ્રજાએ લોકશાહી અપનાવીને પોતાનું ભાવિ પોતે જ નક્કી કરવું જોઈએ." તેમણે રોજબરોજનું શાસન ચલાવતા મંત્રીમંડળની રચના કરી. લોકશાહી અપનાવવાના પ્રથમ ચરણરૃપે વચગાળાનું બંધારણ ઘડયું અને તે અન્વયે ૨૦૦૮માં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આ બંધારણ અનુસાર ભૂતાનમાં પણ આપણી સંસદની જેમ બે ગૃહો છે. એક આપણી રાજ્યસભા જેવું ઉપલું ગૃહ નેશનલ કાઉન્સિલ અને લોકસભાને સમકક્ષ નેશનલ એસેમ્બલી છે. રાજ્યસભા જેવા ઉપલા ગૃહ નેશનલ કાઉન્સિલમાં ૨૦ સભ્યોની ચૂંટણી થાય છે, જ્યારે પાંચ સભ્યોને રાજા નિયુક્ત કરે છે. નેશનલ કાઉન્સિલ તેમ જ એસેમ્બલી બન્નેમાં ચૂંટાવા માટેની લઘુતમ વય ૧૮ વર્ષની અને લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટની નિયત કરવામાં આવી છે. આમ, ભૂતાન જેવા ટચૂકડા દેશે પ્રજા પ્રતિનિધિ પૂરતું ભણેલો, શિક્ષિત હોવો જોઈએ એવો જ આગ્રહ રાખ્યો છે તે નોંધપાત્ર છે. ભૂતાનમાં પણ લોકશાહીની સ્થાપના પછી રાજા બંધારણીય વડા રહે તેવી જોગવાઈ છે. નેશનલ એસેમ્બલીની સભ્ય સંખ્યા ૪૭ છે. જે માટે ૪૭ મતક્ષેત્રોની આકારણી કરવામાં આવી છે. ૨૦૦૮માં નિયત થયેલી ચૂંટણી સફળતાથી યોજી શકાય અને લોકશાહીની આ પ્રક્રિયાથી અત્યાર સુધી માહેર ન હોવાથી પ્રજા એ માટે તૈયાર થઈ શકે તે માટે ભૂતાનમાં એપ્રિલ ૨૦૦૭માં મોક ઈલેક્શન યોજવામાં આવેલ.૨૦૦૮ની ચૂંટણી માટે ચૂંટણીપંચે બે રાજકીય પક્ષોને માન્યતા આપી. તેમાં ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટી (ડી.પી.ટી.)ની રચના અગાઉની ભૂતાન પીપલ્સ યુનાઈટેડ પાર્ટી અને ઓલ પીપલ્સ પાર્ટીના જોડાણથી થઈ છે. તેનું નેતૃત્વ ભૂતપૂર્વ વડાપ્રધાન જીગ્મે થીન્લે કરે છે. બીજો પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી છે. ભૂતાનના બંધારણ અનુસાર ચૂંટણી ઝુંબેશનું ખર્ચ રાજ્ય ભોગવે છે. એટલે ચૂંટણી પંચ તેના પર કડક નિગેહબાની રાખે છે. ચૂંટણી પ્રચારના ખર્ચમાં કોઈ અતિરેક કે ગેરરીતિ થવાનો અવકાશ રહેતો નથી અને ચૂંટણી પ્રચાર પણ નિયત ધોરણ અનુસાર તેની મર્યાદામાં રાખવો પડે છે. આપણા દેશમાં આવી પદ્ધતિ અપનાવવા માટે હિમાયત તો થયા કરે છે પણ સરવાળે મીંડુ ! જેનું કારણ સર્વવિદિત છે.

નેશનલ એસેમ્બલી માટે ૨૪મી માર્ચના રોજ યોજાયેલ ચૂંટણી માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ભારતે આપ્યા.૨૪મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ૮૦ ટકા મતદાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન જિગ્મે થીન્લેના નેતૃત્વવાળી ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટીને ૪૭માંથી ૪૪ બેઠકો પર જ્વલંત વિજય મળ્યો. તેને ૧,૬૯,૪૯૦ એટલે કે કુલ મતદાનના ૬૬.૯૯ ટકા મત મળ્યા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને માત્ર ૩ બેઠકો મળી. તેને ૩૩.૦૧ ટકા મત મળ્યા. હવે પ્રજા પ્રતિનિધિ ગૃહની વિધિવત રચના થઈને નવા મંત્રીમંડળની રચના થાય ત્યારે રાજા જીગ્મે સિંધ્યે વાંગ્ચૂકે અગાઉ જાહેર કર્યા અનુસાર પોતે પદ ત્યાગ કરશે અને ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાં ઉચ્ચ શિક્ષણ લીધેલા તેમના યુવાન રાજકુમાર તેમના અનુગામી બનીને દેશના બંધારણીય વડાનું પદ સંભાળશે. પ્રથમ પ્રજાકીય સરકાર, તેના રાજવીએ તેના શાસન દરમિયાન ઘડેલી પંચવર્ષીય યોજના આગળ વધારવાને સર્વોચ્ચ અગ્રતા આપશે એવી વિજેતા પક્ષે જાહેરાત કરી છે.

જગતના બધા જ દેશો પોતાની પ્રગતિ અને સમૃદ્ધિને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કે રાષ્ટ્રીય આવકના માપદંડથી માપે છે. પણ ભૂતાને 'ગ્રોસ નેશનલ હેપીનેસ' 'કુલ રાષ્ટ્રીય સુખ'ના માપદંડથી માપવાનો સાવ અનોખો અભિગમ અપનાવ્યો છે. યુનો અને વિશ્વ બેન્ક પણ આ અભિગમથી પ્રભાવિત થઈને તેને બીજા પણ અપનાવે તેમ ઈચ્છે છે. રાજાશાહીમાંથી લોકશાહીમાં પ્રવેશ્યા પછી પણ ભૂતાનના સરેરાશ પ્રજાજનના મનમાં એ પ્રશ્ન છે કે, લોકશાહીમાં આ "ગ્રોસ નેશનલ હેપીનેસ"નો વધારો થશે તો ખરો ને ?

સામ પિત્રોડાને ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ

કેનેડા ઇન્ડિયન ફાઉન્ડેશન (સીઈએફ)એ જાહેરાત કરી છે કે, તેઓ ઇન્ડિયન નોલેજ કમિશનના અધ્યક્ષ શ્રી સામ પિત્રોડાને પહેલા વાર્ષિક ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરશે. પિત્રોડાને ટેલિકોમક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ લાવવા બદલ આ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડમાં ૫૦,૦૦૦ ડોલર અને એક ટ્રોફી એનાયત કરવામાં આવશે. સામ પિત્રોડાને આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ૧૮મી એપ્રિલે ટોરન્ટો ખાતે યોજાનાર એક સમારંભમાં એનાયત કરવામાં આવશે.

આ ભવ્ય સમારંભમાં કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પર અને ઓનટારિયોનાડેવિડ મેકગીન્ટી પણ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ૪૦૦ અગ્રણીઓ પણ ભાગ લેશે.

સીઆઈએફના સહ સંસ્થાપક અને ટોરન્ટોના ઇન્ડો કેનેડિયન ઉદ્યોગપતિ વાસુદેવ ચંચલાનીએ આ એવોર્ડ સ્પોન્સર કર્યો છે અને તે માટે ૧ મિલિયન ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે. ગ્લોબલ લિડરશિપ વિઝન અને પર્સનલ એક્સીલન્સને ધ્યાને રાખી દર વર્ષે આ એવોર્ડ કોઈ ભારતીયને એનાયત કરવામાં આવે છે.

રાજયના મહાનગરોમાં હવે મીટરથી પાણી : બીલ આવશે

પાણી પણ હવે પાણીના મૂલે નહીં મળે , અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પાણીનાં મીટર નખાશે
રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટરથી આપવા માટેની યોજના રાજય સરકારની વિચારણામાં છે. આ અંગે પાણી પુરવઠા વિભાગે સર્વે કરી યોજના સરકારમાં મોકલી આપી છે. પુરવઠા વિભાગે આ પૂર્વે રાજયનાં કેટલાંક ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે મીટર નાખતાં તેનાં પરિણામો સારાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા મહાનગરપાલિકાએ કોલકાતામાં એક લાખ ઘરમાં પાણીનાં મીટર લગાવવાનો નિણર્ય કર્યોછે. અગાઉ તેમણે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરી હવે સમગ્ર શહેરમાં તબક્કાવાર તેનો અમલ કરવાનો નિણર્ય કર્યોછે. કોલકાતામાં ૧ હજાર લિટર પાણી મફત આપવાની યોજના છે. ત્યાર બાદ દર હજાર લિટરે રૂ. ૧૦થી ૧૨ નક્કી કરાયા છે.

પાણી પુરવઠા વિભાગે રાજયમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ પૂરેપૂરો વસૂલ કરી શકાય તે માટે મીટર લગાવવાં જરૂરી છે અને આ માટે પાણી પુરવઠા વિભાગે પ્રાયોગિક ધોરણે રાજયનાં કેટલાંક ગામડાંમાં મીટર લગાવ્યાં છે, જેનાં પરિણામ સારાં આવ્યાં હોવાથી મહાનગરોમાં આ યોજનાના અમલ માટેની દરખાસ્ત મોકલી છે.

વિશ્વના ઘણા દેશોમાં પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે. ભારતમાં બેંગ્લોર તથા જમશેદપુરમાં ડેમથી પાણી છેક સુધી પહોંચીને વપરાય તે માટે સરળ ટેક્નિક ઊભી કરી છે. રાજયનાં લગભગ ૧૦ હજાર ગામોમાં પીવાનાં પાણીની વિતરણવ્યવસ્થા માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પીવાનું પાણી મીટરથી આપવા સરકારે ગંભીર વિચારણા હાથ ધરી છે.

પ્રોજેકટ રિપોર્ટમાં મીટર કઈ રીતે લગાવવું તેની માહિતી પણ આપી છે. પંપિંગ સ્ટેશનથી જતી પાઇપલાઇન પર વોટર મીટર લગાવાશે અને ત્યાર બાદ ઘરે-ઘરે પાણીનાં જોડાણ આગળ મીટર લગાવવાની યોજના છે.

આ અંગે ભૂતકાળમાં અમદાવાદના તાત્કાલીન મ્યુનિ. કમિશનર આર.કે. ત્રિપાઠીએ કોમર્શિયલ એકમોમાં મીટરથી પાણી આપવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની બદલી થઈ જતાં પ્રો-રેટા આધારિત પાણી આપવાની યોજના હાલ અમલી છે.સરકાર દ્વારા જે વિચારણા ચાલે છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તમામ એકમોમાં મીટરથી જ પાણી આપવાની યોજના છે. જેનાથી પાણીનો બગાડ અટકશે અને લોકો પાસેથી તેનું વળતર પણ વસૂલાશે.

મીટરથી પાણી આપવાની યોજનામાં પ્રોપર્ટી ટેકસનાં બિલમાંથી પાણીની રકમ અલગ કરી મીટરનું બિલ આપવામાં આવશે અને તેમાં નિયત કરેલ પાણીના કવોટાની ઉરચક રકમ લેવાશે અને ત્યાર બાદ મીટરના રીડિંગ મુજબ બિલ આપવામાં આવશે.

વોટર મીટરથી મ્યુનિ.ની આવક વધશે. સાથોસાથ પાણીની વિતરણવ્યવસ્થા પણ મજબૂત બનશે એવો દાવો સરકારનો છે. આ ઉપરાંત હાલ રાજયની સાત મહાનગરપાલિકામાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. સરકાર હવે ટૂંક સમયમાં નર્મદાનાં પાણીના દર પણ નક્કી કરવાની હોઈ મહાનગરપાલિકા ઉપર બોજો પડવાનો છે અને આ બોજો દૂર કરવા મ્યુનિ. પાસે ટેકસની રકમમાં વધારો કરવાને બદલે જે જેટલું પાણી વાપરે તેટલું બિલ ભરે એ દિશામાં આગળ વધવા વિચારણા ચાલી રહી છે.
વોટર મીટર કેવાં હશે?

સામાન્ય રીતે મીટરમાં ક્ષાર કે કચરો જવાથી મીટર બંધ થઈ જાય છે એવી દલીલ હાલના મ્યુનિ. અધિકારીઓ કરી રહ્યા છે. નવા મીટરમાં કચરો પ્રવેશતાં અટકી જશે અને સ્ટેનરની બોડી કે કાસ્ટ આયર્નનાં મીટર હોવાથી તે બગડશે નહીં. ઉપરાંત ન્યૂનતમ ૧૦ ઘનમીટર પાણી વહન કરવાની ક્ષમતા તેમાં હશે.

મીટરની અંદરની બોડી પ્લાસ્ટિકની હશે. પાણી પુરવઠા વિભાગે વોટર મીટરનો લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ કેટલાક ધારધોરણ નક્કી કરી વોટર મીટર નક્કી કર્યાં છે અને એકવાર મીટર લાગ્યા બાદ બે વર્ષ સુધી તેના નિભાવની જવાબદારી ઇજારદાર પાસે રહેશે. એટલું જ નહીં આ સમય દરમિયાન મીટર બગડી જાય તો વિનામૂલ્યે બદલવાની જોગવાઈ પ્રોજેકટમાં કરાઈ છે.

નોકરીઓ માટે સુવર્ણ દોર

ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કથા આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાકાર કરવામાં સફળ થઈ રહી છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના ઉધોગ અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે
સૌથી પહેલા કેટલાક આંકડાઓ પર નજર નાખીએ: ભારતનો સરેરાશ જીડીપી વિકાસ દર છેલ્લાં આઠ વર્ષમાં આઠ ટકા અને બે વર્ષથી નવ ટકા છે, જે ચીનથી થોડો જ ઓછો છે. ભારતની ૪૧ ટકા વસતીની ઉંમર ૧૫થી ઓછી છે, ૫૪ ટકાની વય ૨૫ વર્ષથી ઓછી છે અને ૭૧ ટકાની વય ૪૦ વર્ષથી ઓછી છે. આનાથી ઊલટું અમેરિકાની ૬૪ ટકા વસતીની વય ૩૫ વર્ષથી ઉપર છે. બ્રિટનમાં આ આંકડો ૬૬ ટકા અને જાપાનમાં ૭૦ ટકા છે.

અલબત્ત, એ પણ નોંધવું જરૂરી છે કે ભારતમાં ૩૫ વર્ષથી ઓછી વય ધરાવનારા કુલ લોકોમાં લગભગ અરધા લોકો શિક્ષિત કે તાલીમ પામેલા નથી. તેમના માટે સંગિઠત ક્ષેત્રમાં રોજગારીની તક નહિવત્ છે. એટલે કે ભારત માટે આજનો પડકાર માત્ર યુવાન નહિ, માત્ર ડિગ્રી નહિ, બલકે સૌ માટે શિક્ષણ અને આવશ્યક તાલીમ છે, જેનાથી, દસમા ધોરણ પાસ થયેલાને એવી તાલીમ મળવી જૉઈએ, જેનાથી તેમને ભવિષ્યમાં નોકરી મળે.

આપણે ત્યાં દસમું અને બારમું પાસ થયેલા યુવાનોને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળતી થાય તો આપણો દેશ સમગ્ર વિશ્વને શિક્ષિત અને કૌશલ્યવાન માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવામાં અગ્રણી બની જાય. વિશ્વના વિકસિત દેશો પોતાની આર્થિક પ્રગતિ જાળવી રાખવા માટે પણ ભારતીય શ્રમશકિત પર અવલંબિત બનશે.

તો ચાલો જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ રહેલી છે:

રિટેલ: આ ક્ષેત્રની મુખ્ય કંપની પેન્ટાલૂનને જ બે લાખ સેલ્સમેન્સ અને આશરે ૫૦,૦૦૦ મેનેજર સ્તરના લોકો જૉઈએ છે. સ્થિતિ એ છે કે તેમને આ સંખ્યાના દસ ટકાથી પણ ઓછા કૌશલ્યવાન યુવાનો મળી રહ્યા છે. નવી કંપનીઓ જેવી કે- વૉલમાર્ટ, માકર્સ એન્ડ સ્પેન્સર, રિલાયન્સ ફ્રેશ, સુવિધા, મોર વગેરેની તો વાત જ નથી કરતા. સંગિઠત રિટેલ ક્ષેત્રમાં અનુભવ નહિ ધરાવતા લોકોની સંખ્યા લગભગ એક કરોડ છે. અને આ એવા કર્મચારી છે, જે દુકાનોમાં મેનેજર, સેલ્સમેન, પ્રમોશન-ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરેનું કામ કરે છે.

માર્કેટિંગ કમ્યૂનિકેશન: એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીએ છેલ્લાં ત્રણ વાર્ષિકમાં વાર્ષિક ૨૬થી ૩૨ ટકા પ્રગતિ હાંસલ કરી છે. પબ્લિક રિલેશન્સના ક્ષેત્રમાં ૪૦ ટકાથી વધુ વિકાસ હાંસલ કર્યોછે. આ આંકડા દેશની સરેરાશ જીડીપીના વિકાસ દર કરતાં ચાર ગણા સુધી વધારે છે. વિખ્યાત મેનેજમેન્ટ કંપની અર્નેસ્ટ એન્ડ યંગના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં આ ત્રણ વર્ષમાં પીઆર અને ઇવેન્ટ્સ ક્ષેત્રમાં લગભગ ૨૫,૦૦૦ તાલીમી લોકોની જરૂર હતી અને તેમને એક હજાર લોકો પણ મળ્યા નહોતા. આ કારણે આ ઉધોગોમાં અર્ધકુશળ લોકોથી કામ ચલાવવું પડે છે.
દેશની જુદી જુદી મીડિયા અને જનસંચાર ઇન્સ્ટિટયૂટસમાં મીડિયા અંગે સામાન્ય પ્રકારનું શિક્ષણ અને તાલીમ અપાય છે, પરંતુ સંચાર ઉધોગના અન્ય વિભાગ જેવા કે એકાઉન્ટ પ્લાનિંગ, એડવર્ટાઇઝિંગ, માર્કેટ કમ્યૂનિકેશન, માર્કેટ રિસર્ચ, બિઝનેસ ડેવલપમેન્ટ, ક્રાઇસીસ મેનેજમેન્ટ, ઇવેન્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, બ્રાંડ કમ્યૂનિકેશન વગેરે અંગે વિશેષ્ામાં કશું શીખવવામાં આવતું નથી. જયારે માર્કેટમાં એ જાણકારીનું જ મહત્ત્વ હોય છે. વળી, મોટા ભાગની સંસ્થાઓમાં ઉધોગમાં ઇન્ટર્નશિપ કરાવવાનો કે પ્રોજેકટના પોર્ટફોલિયો બનાવવાનો એટલો મહાવરો કરાવવામાં આવતો નથી, જેટલો કરાવવાની જરૂર હોય છે.

મીડિયા: ફિલ્મ ઉધોગમાં ૧૮થી ૨૨ ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે અને આવક વધારવાની નવી નવી રીતો અપનાવાઈ રહી છે. મોટી મોટી વિદેશી કંપનીઓ અને કોર્પોરેટ ગૃહો આવતાં કહી શકાય કે એક સમગ્ર મનોરંજન ઉધોગનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ, સંગીત, મનોરંજન કાર્યક્રમ, રેડિયો, ટેલિવિઝન કાર્યક્રમ વગેરેનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્ર વાર્ષિક ૨૦ ટકાના દરે વિકસી રહ્યું છે. જે દેશની જીડીપીના વિકાસ દર કરતાં બમણાથી વધુ દર છે. આ ક્ષેત્રમાં ફિલ્મ જૉનારા અને તેમાં કામ કરનારાઓની કોઈ ખોટ નથી. દેશભરમાં અનેક કંપનીઓ જેવી કે, એડ લેબ્સ, ફેમ, પીવીઆર અને ઇનોકસ ૬૦૦૦થી વધુ સિનેમા સ્ક્રીન ઊભી કરવા જઈ રહી છે. ફિક્કીના એક અંદાજ અનુસાર આ સમગ્ર ઉધોગનું કદ વાર્ષિક લગભગ ૮૦,૦૦૦ કરોડથી વધુ મોટું છે. એટલું જ નહિ આવનાર ત્રણ-ચાર વર્ષમાં તેનું કદ ૧,૫૦,૦૦૦ કરોડથી મોટું થવાની સંભાવના છે.
આ સંજૉગોમાં આ ઉધોગમાં કુશળ અને લાયકાત ધરાવતા લોકોની જરૂર મોટી સંખ્યામાં ઊભી થશે અને આ ક્ષેત્રમાં આવનાર લોકો નવી ટેકનોલોજી અને જરૂરિયાતથી વાકેફ હોય એ જરૂરી હશે. એટલે આજે ડિજિટલ ફિલ્મ પ્રોડકશન, સ્ક્રિપ્ટ અને પટકથા લેખન, ડિજિટલ ફોટોગ્રાફી, ડિઝાઇન, સંગીતનિર્માણ વગેરેમાં મોટી સંખ્યામાં તાલીમબદ્ધ યુવાનોની જરૂર ઊભી થવાની છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજી: આઇટી ક્ષેત્રમાં આવેલી સુસ્તી છતાં તેનો વિકાસ થંભી ગયો નથી. છેલ્લા દાયકાની જરૂરિયાતનું હવે વધુ મહત્ત્વ રહ્યું નથી. કારણ કે ત્યારે કમ્પ્યૂટર પર સામાન્ય કામ કરનારાની પશ્ચિમી દેશોમાં ભારે માગ હતી. હવેનો સમય એવો છે કે એવા લોકોની જરૂરિયાત ઊભી થઈ છે, જેઓ આઇટીના સિદ્ધાંતોનો ઉપયોગ શિક્ષણ, કૃષિ, ચિકિત્સા અને વહીવટીતંત્ર જેવાં ક્ષેત્રોમાં કરી શકે.
ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કહાણી આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાચાં પાડવામાં સફળ થઈ રહી છે. હજારો-લાખો લોકો પોતપોતાના ઉધોગો અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. આ સંજૉગોમાં આજે જરૂરી એ બન્યું છે કે આ સફળતાને દેશની વસતીના એ હિસ્સા સુધી લઈ જઈ શકાય, જે તેના લાભથી વંચિત છે.
એ માટે અર્થવ્યવસ્થાને વ્યાપક બનાવવા કરતાં વધુ જરૂરી છે બેઝિક અને પ્રાથમિક શિક્ષણ બધા સુધી પહોંચાડવામાં આવે અને ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને રોજગાર ગેરન્ટી જેવા કાર્યક્રમોના લાભ છેક છેવાડેની વ્યકિત સુધી પહોંચાડવામાં આવે. ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ ઘણું બધું હજી બાકી રહી જાય છે. આ સ્થિતિમાં અસંતુષ્ટ કે વિચલિત થવાથી કશું મળવાનું નથી. બધા સ્તરે યોગ્ય યોગદાનની જરૂર છે.
(લેખક : પ્રો. ઉજજવલ કે. ચૌધરી સિંબિયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, પુણેમાં ડીન છે.)

Friday, March 28, 2008

ફુગાવાનો ફણીધર ફરી ફુત્કારે છે

પ્રા. આર. સી. પોપટ (‘શુકદેવ’) ‘અર્થકારણના પ્રવાહો’

અત્યારે ચોરે અને ચૌટે- રોડ ઉપરના લારી-ગલ્લાથી માંડીને રિઝર્વ બઁકના કર્મચારીઓના ટેબલો સુધી- ભારે ઉત્કંઠા અને ચિંતા સાથે બે બાબતો ચર્ચાઈ રહી છે- એક તો શેરબજારમાં સેન્સેક્સના સતત અધ:પતનની અને બીજી, મોંઘવારીના આંકના સતત ઉર્ધ્વગમનની. એક આંક-ઇન્ડેક્સ- નીચે ગબડી રહ્યો છે તેની ચિંતા છે, તો બીજો આંક છપ્પર ફાડીને સતત ઊંચે જઈ રહ્યો છે તેની ચિંતા છે. આ બંને એકસાથે બનતી રહેલી ઘટનાઓ વચ્ચે કોઈ ર્તાિકક અનુબંધ રહેલો છે કે કેમ તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. પહેલો શેરબજારનો પ્રશ્ન આમઆદમીનો નથી, પરંતુ બીજો પ્રશ્ન અવશ્યપણે આમઆદમીનો છે. પહેલો પ્રશ્ન મોટા ગજાના મૂડીવાળાઓનો છે, આમઆદમીને ભાગ્યે જ તેની સાથે કંઈ લેવાદેવા છે, તો બીજો પ્રશ્ન નીચી મૂડીવાળા સામાન્ય માનીવનો છે. મોટા ભાગના મૂડીવાળાઓને તે ભાગ્યે જ સ્પર્શે છે. આપણે અહીં આમઆદમીના- મારા અને તમારા- પ્રશ્નની ચિંતા કરવી છે.
ભારત સરકારે તૈયાર કરેલી ૨૦૦૭-૦૮ના વર્ષની આર્િથક સમીક્ષામાં વીતેલા વર્ષ દરમ્યાન જોવા મળેલા ફુગાવાના વલણ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિઝર્વ બઁકે પણ તેના વખતોવખતનાં અવલોકનોમાં આ બાબતને ચિંતાજનક ગણાવી છે, પરંતુ હમણાં હમણાં ૨૦૦૭-૦૮ના વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ફુગાવાના દરમાં અગાઉના નવ મહિના કરતાં પણ વધુ ઊંચા દરે વધારો થતો જોવા મળી રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૦૭ના દિવસે ૩.૯ ટકાની સપાટીએ રહેલો ફુગાવાનો દર ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮ના દિવસે વધીને ૪.૮ ટકાની સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ તે પછી તો ઝડપથી વધીને માર્ચ, ૨૦૦૮ના પ્રથમ સપ્તાહને અંતે ૫.૦૧ ટકાની, છેલ્લા ૧૫ માસની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તે જોઈને રિઝર્વ બઁકે ચેતવણી ઉચ્ચારવી પડી હતી કે, ફુગાવાને ૫ ટકાની સપાટીએ નિયંત્રિત રાખવો જરૃરી છે. આપણા અર્થશાસ્ત્રી વડા પ્રધાન અને નાણાપ્રધાને પણ દેશમાં ફુગાવાની સ્થિતિનો સ્વીકાર કરીને તે જ વિશે ચિંતા વ્યક્ત કરવી પડી હતી. સરકાર તેના ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેવું રાબેતા મુજબનું લુખ્ખું આશ્વાસન આપવું પડયું હતું, પરતુ કોઈની ચેતવણી કે ચિંતાને ગાંઠે તો તેનું નામ ભારતનો ફુગાવો નહીં. ફુગાવો ત્રાસવાદી છે, તે કોઈને ગાંઠતો નથી. માર્ચ, ૨૦૦૮ના બીજા સપ્તાહના અંતે ફુગાવાનો દર રિઝર્વ બઁકે બાંધી આપેલી લક્ષ્મણરેખાને પાર કરીને ૫.૨ ટકાની સપાટીએ અને માર્ચ, ૦૮ના ત્રીજા સપ્તાહમાં તેનાથી પણ આગળ ૫.૯ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે જ્યારે લક્ષ્મણરેખા ઓળંગાય છે ત્યારે ત્યારે રામાયણ સર્જાય છે, તે ઐતિહાસિક સત્ય ધ્યાનમાં રાખવા જેવું ખરું.
એક બીજી વાત. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરતો ભાવાંક જથ્થાબંધ ભાવોના આધારે તૈયાર કરાયેલો હોય છે, પરંતુ સામાન્ય માનવીની આર્િથક યાતનાને અસર કરે છે તે છૂટક ભાવો હોય છે. જથ્થાબંધ કરતાં છૂટક ભાવોમાં થયેલો વધારો તો તેનાથી પણ મોટો છે. છેલ્લા એક જ મહિનામાં જીવન જરૃરિયાતની વસ્તુઓ, અનાજ, કઠોળ, કરિયાણું, સિંગતેલ, બળતણ- આ બધાના જથ્થાબંધ ભાવોમાં ૭થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તેના છૂટક ભાવોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. આ સંદર્ભમાં જો તાજેતરના ફુગાવાના દરને છૂટક ભાવોના આધારે ગણતરીમાં લઈએ તો તે ૫.૨ ટકાથી પણ વધીને ૬.૫ થી ૭.૦ ટકા સુધી પહોંચી ગયાનો સંભવ છે.
આપણા દેશમાં ફુગાવાની આ સમસ્યા કંઈ હમણાં હમણાં જ ઉદ્ભવેલી ટૂંકાગાળાની સમસ્યા નથી. ફુગાવો તો ભારતીય અર્થતંત્રના અણુ એ અણુમાં છેલ્લાં પચાસ વર્ષથી પ્રસરી ગયેલો બ્લડ કેન્સરનો અસાધ્ય રોગ છે. છેક ૧૯૬૨થી હું મારા અર્થશાસ્ત્રના વર્ગખંડોમાં ફુગાવાની ચર્ચા કરતો આવ્યો છું. છેક ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ડો. બી. આર. શિનોય જેઓ તેમના સમયના પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી બીજી પંચવર્ષીય યોજનાની રચના સમિતિના સભ્ય અને ગુજરાત યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનના વડા હતા, તેઓએ ફુગાવા અંગે બળાપો કરતાં કરતાં જિંદગી પૂરી કરી નાખી. તેમ છતાં આ સમસ્યાની ગંભીરતામાં કોઈ તફાવત નોંધાયો નથી. વચ્ચેના ૧૯૯૫થી ૨૦૦૪ સુધીના ગાળામાં આર્િથક સુધારાઓની કેમોથેરપી સારવારથી આ રોગ થોડો દબાયેલો દેખાતો હતો, પરંતુ સાવ નાબૂદ તો થયો જ ન હતો. અત્યાર તે હવે ફરીથી વકર્યો છે. કેન્સરનો રોગ ફરીથી વકરે ત્યારે શું થાય તે તો આ રોગના નિષ્ણાત ડોક્ટરને જ પૂછી લેજો. આ ભાવવધારો ભવિષ્યમાં વધુ ગંભીર બને તેવો ભય તોળાઈ રહ્યો છે. ચિદમ્બરમ્ સાહેબના અંદાજપત્રની ફુગાવાત્મક અસરો આવવાની તો હજુ બાકી છે. ખેડૂતોની ઋણમુક્તિના અમલીકરણથી સરકારી તિજોરી પર રૃ. ૬૦,૦૦૦નો જે બોજો વધવાનો છે તે નાણાં સરકાર છેવટે કેવી રીતે ઊભા કરવાની છે તે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્પષ્ટ રીતે તેનાથી સરકારની રાજકોષીય ખાધ વધવાની છે. બીજી બાજુ, છઠ્ઠા વેતનપંચની ભલામણોના સ્વીકારને પરિણામે કેન્દ્રના અને ત્યાર પછી તેના પગલે પગલે રાજ્ય સરકારોના કર્મચારીઓના વેતનમાં જે જંગી વધારો થવાનો છે તેનો અંદાજે રૃ. ૨૦,૦૦૦ કરોડનો બોજો કેન્દ્ર સરકારની તિજોરી ઉપર પડવાનો છે. આ વેતનવધારો જ્યારે ખરીદશક્તિના વધારા દ્વારા ટકાઉ સ્વરૃપની વપરાશી વસ્તુઓના માંગના વધારામાં પરિણમશે ત્યારે તેની વધારાની ફુગાવાત્મક અસરો ઊભી થશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો અમલ ૨૦૦૮માં સરકાર દેશના બધા જ ૬૪૨ જિલ્લાઓમાં વિસ્તારવા માગે છે. તે માટે અંદાજે રૃ. ૫૦,૦૦૦ કરોડ ખર્ચવા પડશે. તે માટે અંદાજપત્રમાં માત્ર રૃ. ૧૬,૦૦૦ કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે. બાકીનાં નાણાં ક્યાંથી મેળાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આનાથી પણ સરકારની રાજકોષીય ખાધમાં વધારો થશે. આવકવેરામાં અપાયેલી રાહતો સંબંધિત લોકોની વાસ્તવિક આવકમાં વધારો કરીને માંગમાં વધારો લાવશે. ઓટોમોબાઈલ ક્ષેત્રને મળેલી કરરાહતો ઉપર તથા દ્વિચક્રી વાહનોની માંગમાં ભારે વધારો લાવશે. તેના પગલે પગલે સંબંધિત વસ્તુઓના ભાવ વધશે. ટૂંકમાં, ૨૦૦૮ના વર્ષના હવે પછીના દિવસોમાં ફુગાવાનો દર હજુ પણ વધુ ઊંચે જવાનો ભય છે. વર્ષના અંતે ફુગાવાનો દર ૬.૫ ટકા સુધી પહોંચી જાય તો આઘાત ભલે લાગે, આશ્ચર્ય લાગવું જોઈએ નહીં.
એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર મંદી તરફ ઘસડાઈ રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક (આઈ.આઈ.પી.)ના આધારે જાન્યુઆરી, ૨૦૦૮માં આગલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં ઉત્પાદન વૃદ્ધિનો દર લગભગ અડધો થઈ ગયો છે. અને તેની બીજી બાજુએ સામાન્ય માનવીના વપરાશની બધી જ વસ્તુઓના ક્ષેત્રમાં ભાવવધારાનો ભરડો ભીષણ બનતો જાય છે. આમ, ફુગાવો અને મંદીની દ્વિમુખી અસર અત્યારે ભારતીય અર્થતંત્ર અનુભવી રહ્યું છે. રિઝર્વ બઁક પણ અત્યારે દ્વિધામાં ફસાઈ ગઈ છે. બઁક દરમાં વધારો કરે તો શેરબજાર ઉપર અને ઔદ્યોગિક મૂડીરોકાણ ઉપર અવળી અસરો પડવાનો ભય રહેલો છે અને બઁક દરમાં ઘટાડો સામાન્ય માનવીની વસ્તુઓના ભાવ ઉપર વિપરીત અસર પહોંચાડી શકે છે. કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિની ઊલઝનથી માથું ખંજવાળી રહી છે. એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર અને કૃષિક્ષેત્રમાં ઉત્પાદન ઘટતું જાય છે અને બીજી બાજુ બજાર ઉપર માંગનું દબાણ વધતું જાય તેવાં પરિબળો એક પછી એક માથું ઊંચકતા જાય છે.
આવી જ પરિસ્થિતિ હજુ થોડો વધુ સમય ચાલુ રહે તો ૨૦૦૮-૦૯ના વર્ષનો આર્િથક વિકાસનો દર ૮.૫ ટકાને આંબવામાં પણ મુશ્કેલી ઊભી થશે. વધતી જતી મોંઘવારી ગરીબી નાબૂદીના બધા જ લક્ષ્યાંકોને વિફળ બનાવી મૂકશે. હજુ એક અઠવાડિયા પહેલાં જ અંદાજપત્ર પરની ચર્ચામાં બોલતા નાણાપ્રધાને સંસદમાં ગળું ખોંખારીને એવો જશ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો કે, યુ.પી.એ. સરકારે રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે ઘટાડીને ૨૦૦૭-૦૮ વર્ષમાં કુલ રાષ્ટ્રીય આવકના ૩.૬ ટકાની નીચી સપાટીએ લાવી દીધી છે.
અને ૨૦૦૮-૦૯ના વર્ષમાં તેને ૨.૮ ટકાની સપાટીએ લાવી દેવામાં આવશે, પરંતુ અર્થતંત્રમાં અત્યારે જે ફુગાવાત્મક પરિબળો જુદી જુદી દિશામાંથી માથું ઊંચકી રહ્યો છે તે તેમ થવા દે એવું લાગતું નથી.
નાણાપ્રધાનના જ અંદાજપત્રની અસરોથી તો રાજકોષીય ખાધ વધીને ૪.૨થી ૪.૫ ટકા સુધી પહોંચી જવાનો સંભવ દેખાય છે. ફુગાવાની જ્વાળામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈઓ ઇંધણ નાખવાનું કામ કરવાની છે.
માત્ર બઁક દરમાં વધઘટ કરવાથી ફુગાવો નિયંત્રણમાં લાવી શકાય નહીં. વાસ્તવિક આવશ્યકતા એ છે કે, વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં અને કૃષિ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો કરવાની અને બીજી બાજુએ લોકોના હાથમાં રેડવામાં આવતી વધુ ને વધુ આવકોને બજારને બદલે બચતના માર્ગે વાળવાની બચતલક્ષી નીતિ યુદ્ધના ધોરણે તૈયાર કરીને અમલમાં મૂકવી જોઈએ.